પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો આજે જાહેર થવા જઈ રહ્યા છે, પરંતુ તે પહેલા જ રાજ્યની સૌથી ચર્ચિત ‘ભવાનીપુર’ બેઠક પર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી છે. મતગણતરી શરૂ થાય તે પહેલા જ અહીં તૃણમૂલ કોંગ્રેસ(TMC) અને ભાજપના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ભવાનીપુર વિધાનસભા વિસ્તારમાં આવેલી સખાવત મેમોરિયલ સ્કૂલ સ્થિત મતગણતરી કેન્દ્રની બહાર બંને પક્ષોના એજન્ટો સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી.
ભવાનીપુર બેઠક આ વખતે સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બની છે, કારણ કે અહીંથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મેદાનમાં છે, જ્યારે ભાજપે તેમની સામે વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીને મેદાનમાં ઉતારીને આ જંગને રોમાંચક બનાવી દીધો છે. આ મુખ્ય નેતાઓ ઉપરાંત કોંગ્રેસના પ્રદીપ પ્રસાદ અને CPIMના શ્રીજીબ બિસ્વાસ પણ પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. આ બેઠક પર કોણ જીતશે તેના પર સૌની નજર ટકેલી છે.
વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર તૃણમૂલના શોભનદેવ ચટ્ટોપાધ્યાયે ભાજપના રુદ્રનીલ ઘોષને 28,719 મતોના અંતરથી હરાવ્યા હતા. જોકે, 2026ની આ ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આ વખતે 29 એપ્રિલ, 2026ના રોજ થયેલા મતદાનમાં ભવાનીપુરમાં 86.45% જેટલું રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું છે, જે 2021ના 61.36% મતદાન કરતા ઘણું વધારે છે. આ વધેલું મતદાન કોના તરફી પરિણામ લાવશે તે જોવું હવે મહત્ત્વનું રહેશે.
