આઈપીએલ-2026માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) 9માંથી 7 મેચ હારી ગઈ છે, તેથી પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો અત્યંત મુશ્કેલ બની ગયો છે. મુંબઈનો ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે હાર થયા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા સહિત આખી ટીમની ટીકાઓ શરૂ થઈ ગઈ છે.
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મનોજ તિવારી (Manoj Tiwary)એ મુંબઈ ઈન્ડિયન્સની વર્તમાન સ્થિતિ પર કડક શબ્દોમાં ટિપ્પણી કરવાની સાથે મોટો દાવો કર્યો છે. તિવારીએ કહ્યું કે, કેપ્ટન હાર્દિક પંડ્યા હવે ટીમનો વિશ્વાસ ગુમાવી ચૂક્યો છે અને ડ્રેસિંગ રૂમમાં એકતા દેખાઈ રહી નથી.
ચેન્નાઈ સામે 8 વિકેટની હાર થયા બાદ મુંબઈની નબળાઈ ઉજાગર થઈ ગઈ છે. ટીમ સતત ભૂલો કરી રહી છે અને મેદાન પર ટીમમાં સ્પષ્ટ યોજના જોવા મળતી નથી. મનોજ તિવારીએ કહ્યું કે આ માત્ર એક હાર નથી પરંતુ ટીમની અંદર ચાલી રહેલી ગરબડનો સંકેત છે.
તિવારીએ સ્પષ્ટ કહ્યું કે, કેપ્ટન તરીકેની સૌથી મોટી જવાબદારી ટીમનો વિશ્વાસ જીતવાની હોય છે પરંતુ હાલની સ્થિતિ મુજબ એવું લાગે છે કે, ખેલાડીઓ હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની સાથે ઊભા નથી. મનોજ તિવારીએ ક્રિકબઝ સાથે વાત કરતા કહ્યું કે ‘એક કેપ્ટનનું કામ દરેક ખેલાડીનો વિશ્વાસ જીતવાનું હોય છે પરંતુ હાલની સ્થિતિ પરથી લાગી રહ્યું છે કે, કોઈ પણ ખેલાડી સંપૂર્ણ હાર્દિકની સાથે નથી. હાર્દિકને જે સપોર્ટની જરૂર છે તે દેખાઈ રહ્યો નથી.’
મનોજ તિવારીએ માત્ર હાર્દિક પંડ્યાની જ નહીં, સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) અને તિલક વર્મા (Tilak Varma)ની પણ ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે, મુંબઈના ખેલાડીઓએ પણ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. સૂર્યકુમાર સતત અને તિલક એક-બે ઈનિંગ સિવાય નિષ્ફળ રહ્યો છે. આવામાં ટીમનું સંતુલન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. જો ટીમના બાકીના ખેલાડીઓ જ સતત સારું નહીં રમે તો પરિણામ કેવી રીતે આવશે.’
પૂર્વ ક્રિકેટરે વધુમાં કહ્યું કે, એક સમયે મુંબઈ-ચેન્નાઈની મેચોમાં પ્રતિસ્પર્ધા જોવા મળ હતી, જોકે હવે મુકાબલા એકતરફી જોવા મળી રહ્યા છે. પોઈન્ટ ટેબલ મુજબ ચેન્નાઈ 9 મેચોમાંથી માત્ર ચાર મેચ અને મુંબઈ 9 મેચમાંથી માત્ર બે મેચ જીતી છે. ચેન્નાઈ સામે હાર બાદ મુંબઈ ટીમ નબળી પડી ગઈ છે. પ્લેઓફમાંથી બહાર થવાની સંભાવના પણ વધી ગઈ છે. હવે મુંબઈએ પ્લેઓફની રેસમાં રહેવું હોય તો દરેક મેચમાં જીતવી પડશે. સાથે જ ટીમની અંદર ચાલી રહેલી સમસ્યાઓનો પણ જલ્દી ઉકેલ લાવવો પડશે.
