અભિનેત્રી રાખી સાવંતની પીડા સાંભળી કોમેડિયન ભારતી પણ રડી પડી

દુનિયાની સામે હંમેશા હસતી-ખીલખીલાતી અને બિંદાસ અંદાજમાં જોવા મળતી ‘એન્ટરટેઇનમેન્ટ ક્વીન’ રાખી સાવંત અંદરથી કેટલી તૂટી ચૂકી છે, તેનો પુરાવો તાજેતરમાં જોવા મળ્યો છે. અવારનવાર વિવાદો અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી રાખી સાવંતનો એક અત્યંત ભાવુક ચહેરો સામે આવ્યો છે. રાખી સાવંત તાજેતરમાં મશહૂર કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાના પોડકાસ્ટમાં અતિથિ વિશેષ તરીકે પહોંચી હતી. આ દરમિયાન પોતાની જિંદગીના દર્દને કહેતા એટલી હદ સુધી ભાંગી પડી કે તેને જોઈને ભારતી સિંહ પણ પોતાના આંસુ રોકી શકી નહીં.

પોડકાસ્ટ દરમિયાન રાખીએ પોતાની જિંદગીના એકલવાયાપણ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. તેણે અત્યંત ભાવુક થઈને જણાવ્યું કે, “હું અંદરથી ખૂબ રડું છું. ગઈકાલે રાત્રે પણ હું એકલી બેસીને ખૂબ રડી હતી. આજે મારી જિંદગીમાં એવું કોઈ નથી જે પ્રેમથી એટલું પણ પૂછે કે તે ખાધું કે નહીં? જ્યારે મારી માતા જીવતી હતી, ત્યારે તે હંમેશા મારી ચિંતા કરતી અને જમી લેવા માટે આગ્રહ કરતી હતી.”

રાખીએ આગળ ઉમેર્યું કે, “મમ્મીના ગયા પછી હવે મારું ઘર મને એકદમ શ્મશાનઘાટ જેવું ભાસે છે. જિંદગીમાં હવે કોઈ જ રહ્યું નથી. ફરીથી લગ્ન કરવાની મારી હિંમત જ નથી રહી, કારણ કે મને ડર છે કે લોકો મને ફરી લૂંટી લેશે. કોઈને મારામાં પત્ની નથી દેખાતી, લોકો માત્ર મારો એક સીડી તરીકે ઉપયોગ કરીને આગળ વધવા માંગે છે. સાચું કહું તો હવે જિંદગી પરથી મારો ભરોસો જ ઊઠી ગયો છે. સમજાતું નથી કે હું કેવા નરકમાં આવી ગઈ છું.”

પોતાનું દુઃખ વ્યક્ત કરતી વખતે રાખી સાવંત બાળકની જેમ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી હતી. હંમેશા બોલ્ડ અંદાજમાં જીવતી રાખીને આ રીતે લાચાર અને માનસિક રીતે તૂટેલી જોઈને હોસ્ટ ભારતી સિંહ પણ ઇમોશનલ થઈ ગઈ હતી અને તેની આંખોમાંથી પણ આંસુ વહી પડ્યા હતા.

આ પોડકાસ્ટનો વીડિયો સામે આવ્યા બાદ ચાહકો પણ ભારે ભાવુક થઈ ગયા છે. નેટીઝન્સનું કહેવું છે કે જે વ્યક્તિ બહારથી જેટલી કઠોર કે મજબૂત દેખાય છે, તે અંદરથી એટલી જ સંવેદનશીલ હોય છે. રાખી પોતાના દિલમાં અસંખ્ય દુઃખ છુપાવીને પણ દુનિયાને હસાવતી રહી છે અને તેણે ક્યારેય સહાનુભૂતિ મેળવવા માટે પોતાને ‘બેચારી’ તરીકે રજૂ નથી કરી. ફેન્સ સોશિયલ મીડિયા પર રાખીને હિંમત રાખવાની સલાહ આપી રહ્યા છે.

રાખી સાવંતની પર્સનલ લાઈફ ઉથલપાથલથી ભરેલી રહી છે. બે વાર લગ્ન કરવા છતાં આજે તે સાવ એકલી જિંદગી વિતાવી રહી છે.

રાખીએ વર્ષ 2019માં રીતેશ સિંહ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ સંબંધ લાંબો ન ચાલ્યો અને વર્ષ 2022માં બંને સત્તાવાર રીતે અલગ થઈ ગયા.

ત્યારબાદ વર્ષ 2022માં જ રાખીએ બિઝનેસમેન આદિલ ખાન દુર્રાની સાથે ધર્મ પરિવર્તન કરીને નિકાહ કર્યા હતા. જોકે, આ લગ્નજીવનમાં પણ ભારે વિવાદો થયા અને એક જ વર્ષની અંદર આદિલ સાથેના સંબંધોનો પણ કરુણ અંત આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...