પશ્ચિમ બંગાળમાં ચોથી મેના રોજ વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે, જોકે તે પહેલા સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસે (TMC) મતગણતરીની પ્રક્રિયામાં કેન્દ્રીય પર્યવેક્ષકોની નિમણૂક મામલે હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. કોલકત્તા હાઇકોર્ટે 30 એપ્રિલે TMCની એ અરજીને ફગાવી દીધી હતી, જેમાં પક્ષે મતગણતરી માટે માત્ર કેન્દ્રીય કર્મચારીઓની નિમણૂક સામે વાંધો ઉઠાવ્યો હતો. હાઇકોર્ટના આ આદેશ વિરુદ્ધ હવે ટીએમસીએ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી છે.
તૃણમૂલ કોંગ્રેસનો આરોપ છે કે, ‘મતગણતરીમાં માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો(PSU)ના સ્ટાફને પર્યવેક્ષક તરીકે રાખવાનો નિર્ણય લોકશાહી પ્રક્રિયાની વિરુદ્ધ છે. આ નિર્ણયથી મતગણતરીની નિષ્પક્ષતા પ્રભાવિત થઈ શકે છે અને પ્રક્રિયા પર શંકા પેદા થઈ શકે છે. આ પ્રક્રિયામાં રાજ્ય સરકારના કર્મચારીઓને પણ પર્યવેક્ષક તરીકે સામેલ કરવા જોઈએ જેથી તમામ પક્ષોની સમાન ભાગીદારી સુનિશ્ચિત થઈ શકે.
ચૂંટણી પંચના આ નિર્ણયને પડકારતી ટીએમસીની અરજી પર હવે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. પક્ષને આશા છે કે, સર્વોચ્ચ અદાલત તેમની દલીલોને ગંભીરતાથી સાંભળીને મતગણતરી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે યોગ્ય દિશાનિર્દેશો આપશે.
આ પહેલા પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન થયેલી હિંસા અને ગેરરીતિઓને ધ્યાને લઈને ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે 15 બૂથો પર ફેર મતદાન યોજવાની જાહેરાત કરી છે. આ માટે નોટિફિકેશન પણ જાહેર કરી દેવાયું છે. દક્ષિણ 24 પરગણા જિલ્લાના ડાયમંડ હાર્બર અને મગરાહાટ પશ્ચિમ વિસ્તારના કુલ 15 મતદાન કેન્દ્રો પર 2 મેના રોજ ફરીથી મતદાન યોજવામાં આવશે. આ કેન્દ્રો પર શનિવારે સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થશે. આ 15 મતદાન કેન્દ્રોમાં ડાયમંડ હાર્બરના 4 અને મગરાહાટ પશ્ચિમના 11 બૂથનો સમાવેશ થાય છે જ્યાં અગાઉના મતદાન દરમિયાન અનિયમિતતાઓની ફરિયાદો મળી હતી.
ચૂંટણીની નિષ્પક્ષતા જાળવી રાખવા માટે પંચ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. 15 બૂથો પર રીપોલિંગની જાહેરાત સાથે જ ફાલ્ટા વિધાનસભા ક્ષેત્રના 30થી વધુ બૂથો પણ ફરી મતદાનના દાયરામાં આવી શકે તેવી શક્યતા છે. ફાલ્ટામાં ભાજપ દ્વારા એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઈવીએમમાં તેમના ચૂંટણી ચિહ્ન પર ટેપ લગાવીને છેડછાડ કરવામાં આવી હતી જેથી મતદારો તેમને મત આપી ન શકે. ચૂંટણી પંચે આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને રિપોર્ટ મળ્યા બાદ વધુ નિર્ણય લેવામાં આવશે.
30 એપ્રિલના અહેવાલો મુજબ બીજા તબક્કાના મતદાન વખતે રાજ્યના અનેક ભાગોમાં હિંસક ઘટનાઓ બની હતી જેમાં કુલ 77 બૂથો પર ફેર મતદાનની માંગ ભાજપ દ્વારા કરવામાં આવી છે. આ 77 બૂથોમાંથી 64 બૂથ માત્ર ડાયમંડ હાર્બર વિસ્તારના છે જ્યાંથી તૃણમૂલ કોંગ્રેસના અભિષેક બેનર્જી સાંસદ છે. અન્ય ઘટનાઓમાં બારાનગરના એક બૂથ પર 5 વખત ઈવીએમ બદલવા છતાં મતદાન શરૂ ન થઈ શકતાં અનેક લોકો પરત ફર્યા હતા જ્યારે નોઆપાડામાં ડમી ઈવીએમ દ્વારા મતદારોને ભ્રમિત કરવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચ આ તમામ વિગતોની ગંભીરતાથી સમીક્ષા કરી રહ્યું છે.
