15 મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં ભાજપને માત્ર બહુમતિ મળી નથી પરંતુ, કોંગ્રેસને એટલો કારમો પરાજય મળ્યો છે કે 15 પૈકી 10 મહાપાલિકામાં લોકસભાના ‘માવળંકર રૂલ’ તરીકે જાણીતા નિયમનું ચુસ્ત અર્થઘટન કરાય તો વિરોધ પક્ષના નેતાનું સત્તાવાર પદ પણ મળી શકે તેમ નથી.
ઈ.સ. 1951માં લોકસભાના પ્રથમ અધ્યક્ષ જી.વી. માવળંકરે એવો નિયમ જાહેર કર્યો હતો કે વિરોધપક્ષના નેતા(લીડર ઓફ ઓપોઝીશન)ની માન્યતા મેળવવા વિરોધપક્ષે કમસેકમ લોકસભાની કુલ બેઠકોના 10 ટકા બેઠક મેળવવી જોઈએ. એટલે કે 543 બેઠકમાં 55 બેઠક મળે તો જ આ પદ મળી શકે.
ગુજરાતમાં મહાપાલિકાઓની સામાન્ય સભાના સંચાલન માટે પોતાના નિયમો હોય છે અને ભાજપના એક સમયના શાસકો ઉદાર મન રાખીને વિરોધપક્ષના નેતાનું પદ લોકશાહી પરંપરા જાળવવા આપતા હતા. જેમ કે રાજકોટમાં 1995માં કુલ 60 બેઠકોમાં ભાજપને 59 અને કોંગ્રેસને માત્ર 1 બેઠક છતાં વિપક્ષી નેતાનું પદ અપાયું હતું પરંતુ, ગત ઈ.સ. 2021-26ની ટર્મમાં કોંગ્રેસને 72માંથી 4 બેઠક મળતા આ પદ આપવાનો વિરોધ વચ્ચે ઘસીને ઈન્કાર કરાયો હતો અને ઓફિસ, વાહન પરત લઈ લેવાયા હતા.
મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરમેન ઉપરાંત તાજેતરના વર્ષોમાં શાસનપક્ષના નેતા. દંડકને કાર, ઓફિસ સહિતની સુવિધા પ્રજાના ખર્ચે અપાયા છે તે રીતે વિરોધપક્ષને પણ અલગ ઓફિસ, સ્ટાફ, મનપાના ખર્ચે સત્તાવાર વાહન, ભથ્થા વગેરે સુવિધા અપાતી હોય છે. કોંગ્રેસને 10 મહાપાલિકામાં 10 ટકા કે વધુ બેઠકો મળી નથી તેથી આ પદ જોખમમાં છે જયારે પાંચ મહાપાલિકામાં તેને આ પદ મળી શકશે.
