ભારત માટે ચોથી એસ-400 ડિફેન્સ સિસ્ટમ રવાના કરી દીધી

નવી દિલ્હી : ઓપરેશન સિંદૂરને એક વર્ષ થવા જઇ રહ્યું છે ત્યારે હવાઇ સુરક્ષાને લઇને મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. રશિયાએ ભારતને સોંપવામાં આવનારી એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ રવાના કરી દીધી છે. જે મે મહિનાના મધ્ય સુધીમાં ભારત સુધી પહોંચી જવાની શક્યતાઓ છે. જ્યારે પાંચમી એર ડિફેન્સ આ વર્ષે નવેમ્બર મહિનામાં ભારતમાં પહોંચવાની શક્યતાઓ છે. જે ચોથી એર ડિફેન્સ સિસ્ટમ હાલ રવાના કરાઇ છે તેને રાજસ્થાનમાં પાકિસ્તાન સરહદે તૈનાત કરવામાં આવી શકે છે.  

ભારતીય એરફોર્સના અધિકારીઓએ ૧૮ એપ્રીલના રોજ ભારત આવનારી આ ચોથી સિસ્ટમનું પ્રી-ડિસ્પેચ નિરીક્ષણ પુરુ કરી દીધુ છે. જે બાદ ગત સપ્તાહે તેને રશિયાથી ભારત માટે શિપ કરી દેવામાં આવી હતી. પાકિસ્તાન વિરૂદ્ધ મિસાઇલ રક્ષા ગ્રિડને અભેદ્ય બનાવવા માટે આ નવી સિસ્ટમને રાજસ્થાન સેક્ટરમાં તૈનાત કરવામાં આવે તેવી શક્યતાઓ છે. આ પહેલા ઓપરેશન સિંદૂર દરમિયાન રશિયાની ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦એ પોતાની મારક ક્ષમતાનંુ આક્રામક પ્રદર્શન કર્યું હતું. આ લાંબા ઓપરેશન દરમિયાન ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ૧૧ લાંબી રેન્જની એસ-૪૦૦ મિસાઇલોનો મારો ચલાવ્યો હતો. 

આ મિસાઇલોએ દુશ્મન દેશના લડાકુ વિમાનો, એરબોર્ન અર્લી વોર્નિંગ સિસ્ટમ અને પરિવહન વિમાનોને સટીક નિશાન બવાનીને હુમલો કર્યો હતો. એસ-૪૦૦ લાંબી રેન્જના રડાર અને મારક ક્ષમતાનો ડર એટલો હતો કે પાકિસ્તાનને પણ સમજાઇ ગયું હતું કે સિંધુ નદીના પૂર્વમાં તેનુ કોઇ પણ હવાઇ પ્લેટફોર્મ સુરક્ષીત નહીં રહે. મજબુર થઇને પાકિસ્તાને પોતાના તમામ સક્રિય લડાકુ વિમાનો અને હવાઇ પ્લેટફોર્મને ભારતીય મિસાઇલોથી બચાવવા માટે ક્વેટા અને પેશાવર એરબેઝ પર શિપ્ટ કરવા પડયા હતા. હાફળા ફાફળા થયેલા પાકિસ્તાને પંજાબ અને ગુજરાતમાં તૈનાત ભારતની બે એસ-૪૦૦ સિસ્ટમને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જેમાં તે સફળ નહોતું રહ્યું. કેન્દ્રની મોદી સરકારે હવાઇ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાંચ એસ-૪૦૦ સિસ્ટમની ખરીદીને મંજૂરી આપી દીધી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...