અમરેલી જિલ્લાના વડિયામાં યોજાયેલી એક જનસભામાં રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ પોતાની જ પાર્ટીના કાર્યકરો અને આગેવાનોને ગર્ભિત ધમકી આપતા રાજકારણ ગરમાયું છે. મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે વિરોધીઓ સાથે સંપર્ક રાખનારા તમામ લોકો પર સરકારની નજર છે.
વડિયાના શિવાજી ચોક ખાતે ભાજપની એક વિરાટ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં સંબોધન કરતા મંત્રી કૌશિક વેકરિયાએ વિપક્ષ પર પ્રહાર કરવાને બદલે પક્ષની અંદર રહીને વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘સ્થાનિક સ્તરે અમુક લોકો એમની (વિપક્ષ) સાથે જોડાઈ રહ્યા છે અને છૂપી રીતે મદદ કરી રહ્યા છે, પરંતુ તેઓ એ ન ભૂલે કે બધું જ સરકાર અને સંગઠનની નજરમાં છે. કોઈ ભૂલ ન કરતા, નહિતર પરિણામ ભોગવવા તૈયાર રહેજો.’
મંત્રીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભાજપમાં સ્થાનિક સ્તરે આંતરિક જૂથવાદ અને ટિકિટ ન મળવાને કારણે ઊભો થયેલો રોષ પક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે. ચૂંટણીના પ્રચારમાં જ્યારે કાર્યકરોની એકતા જરૂરી હોય છે, ત્યારે મંત્રીએ શિસ્તના નામે આપેલી આ ધમકીએ કાર્યકરોમાં સોપો પાડી દીધો છે.
