અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા અસામાજીક તત્વો વિરૂદ્ધ પાસા અને તડીપારની કાર્યવાહી કરવામાં આવે છે. આ માટે પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી પીસીબી દ્વારા વર્ષ ૨૦૨૫માં પાસાની દરખાસ્ત કરીને ૧૧૦૭ આરોપીઓને પાસા હેઠળ રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા. તેમજ માથાભારે હોય સતત ગુનાખોરી આચરતા ૨૫૮ જેટલા આરોપીઓને અમદાવાદમાંથી તડીપાર કર્યા હતા.આ ઉપરાંત,ગત વર્ષે પીસીબીએ પ્રોહીબીશનના ૪૦૦ જેટલા ગુના નોંધીને ૪૦૭ આરોપીઓને ઝડપીને ૫.૭૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યા હતા. તેમજ જુગારના ૭૦ કેસ નોંધીને ૨૪૫ જુગારીઓની ધરપકડ કરીને રોકડ સહિત આશરે એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી હતી. અમદાવાદ પોલીસે આશરે ચાર હજાર આરોપીઓની પ્રોફાઇલ તૈયાર કરીને ઓનલાઇન કરી હતી. આ ઉપરાંત, વર્ષ ૨૦૨૫ આરોપીઓના ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૨૫ દરમિયાન પોલીસ કમિશનર દ્વારા ૧૧૦૭ જેટલા અસામાજીક તત્વોને પાસા તેમજ ૨૫૮ જેટલા રીઢા ગુનેગારોને તડીપાર કર્યા હતા. આ ઉપરાંત, દારૂ અને જુગારના ૬૫૦થી વધુ ગુના નોંધીને સાડા છ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.
