ઓપરેશનલ મુશ્કેલીઓ, ઇંધણ (ફ્યુલ)ના સતત વધતા ભાવ અને એરસ્પેસની સમસ્યાઓને કારણે એર ઇન્ડિયાએ મોટો નિર્ણય લીધો છે. આગામી ત્રણ મહિના માટે અમદાવાદ ઍરપૉર્ટથી ઊડતી કેટલીક ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, અન્ય કેટલાક રૂટ પર ફ્લાઇટ્સના ફેરા ઘટાડીને તેના સમયમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
એર ઇન્ડિયાએ જૂનથી ઓગસ્ટ મહિના દરમિયાન અમદાવાદ ઍરપૉર્ટથી દોડતી દિલ્હી, મુંબઈ અને લંડન સહિતના ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ રૂટની કેટલીક ફ્લાઇટ્સ સંપૂર્ણપણે રદ કરી દીધી છે. આ સિવાય, કેટલીક ફ્લાઇટ્સના ફેરા (ફ્રીક્વન્સી) ઘટાડીને તેના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. એરલાઇન્સના આ આંચકાજનક નિર્ણયના કારણે અમદાવાદથી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં નિયમિત મુસાફરી કરતા લોકોની ચિંતા અને મુશ્કેલીઓ બંને વધી જશે.
આ ઉપરાંત, ઓગસ્ટ મહિનાની કેટલીક તારીખોમાં અમદાવાદથી લંડન (ગેટવિક) વચ્ચેની સીધી ફ્લાઇટ પણ કેન્સલ કરી દેવામાં આવી છે. આ નિર્ણયના કારણે જે મુસાફરોએ 2-4 મહિના પહેલાંથી જ એડવાન્સ બુકિંગ કરાવી રાખ્યું હતું, તેમની મુશ્કેલીઓ ખૂબ વધી જશે. હવે તેમને છેલ્લી ઘડીએ મોંઘા ભાવે નવી ટિકિટો ખરીદવી પડશે. હજુ પણ આગામી સમયમાં વધુ ફ્લાઇટ્સ રદ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે, તેથી મુસાફરોને નિયમિતપણે ઇન્ટરનેશનલ કે ડોમેસ્ટિક ફ્લાઇટનું સ્ટેટસ ઓનલાઇન ચેક કરતા રહેવાની સલાહ આપવામાં આવી છે.
