આજની ઝડપી જીવનશૈલી અને માનસિક તણાવને કારણે આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના તાજેતરના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં વર્ષ 2024 દરમિયાન કુલ 8,984 લોકોએ વિવિધ કારણોસર આપઘાત કર્યો હતો. આ આંકડો દર્શાવે છે કે રાજ્યમાં દરરોજ સરેરાશ 24થી 25 વ્યક્તિઓ પોતાની જીવનલીલા સંકેલી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર, આપઘાત કરનારાઓમાં પુરુષોની સંખ્યા સૌથી વધુ છે. કુલ બનાવોમાં 71 ટકા પુરુષો અને 29 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને 18થી 45 વર્ષની વયના યુવાનોમાં આ પ્રમાણ 60-65 ટકા જેટલું ઊંચું જોવા મળ્યું છે.
ગુજરાતના કુલ આપઘાતના કિસ્સાઓમાંથી 30 ટકા કેસ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા મહાનગરોમાં નોંધાયા છે. દેશના તમામ શહેરોમાં સૌથી વધુ આપઘાતનું પ્રમાણ ધરાવતા શહેરોમાં રાજકોટ બીજા ક્રમે છે.
આત્મહત્યા પાછળના કારણોનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું છે કે, 40 ટકા બનાવો પારિવારિક ઝઘડા અને કેન્સર, એઈડ્સ કે પેરાલીસિસ જેવી ગંભીર શારીરિક બીમારીઓ જવાબદાર છે. બીમારીના કારણે થતા આપઘાતમાં 45થી 50 ટકા કિસ્સાઓમાં માનસિક બીમારી મુખ્ય કારણ રહી છે.
આર્થિક અને સામાજિક કારણોસર વિવિધ વર્ગના લોકોમાં આપઘાતનું પ્રમાણ વધુ છે. જેમાં કુલ બનાવોના 35% દૈનિક વેતન મેળવતા મજૂરો છે. આશરે 20% ગૃહિણીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ધંધાર્થીઓ અને વિદ્યાર્થીઓમાં પણ આપઘાતનું પ્રમાણ નોંધપાત્ર રીતે જોવા મળ્યું છે.
વર્ષ 2023 ની સરખામણીએ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પંજાબ જેવા રાજ્યોમાં આત્મહત્યાના દરમાં 2 થી 4% નો ઘટાડો થયો છે, જ્યારે તેની સામે ગુજરાતમાં 0.4% નો વધારો નોંધાયો છે. ગુજરાતની આત્મહત્યાની સરેરાશ દેશની રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધારે છે.
