પોલીસે સરખેજ મકરબા ટોરન્ટ પાવર રોડ પર નવા બની રહેલા ઓવરબ્રિજની બાજુમાં આવેલા સત્યદીપ હાઈટ્સ પાસેથી ચાર શખ્સોને વોચ ગોઠવીને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી એમ્બરગ્રીસનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને પકડેલા ચાર આરોપીઓ પાસેથી કુલ 8 કિલો 704 ગ્રામ એમ્બરગ્રીસના નાના-મોટા ટુકડાઓ મળ્યા હતા. બજારમાં આ પદાર્થની કિંમત રૂપિયા 8,70,40,000 છે.
ઝડપાયેલા ચાર આરોપીઓની ઓળખ રિંકુસિંહ સમરબહાદુરસિંહ રાજપુત (ઉં.વ.21), શષાંક પાંડે(ઉં.વ.29), એજેક્સ વ્યાસ(ઉં.વ.23) અને જતીન પાટીલ(ઉં.વ.25) તરીકે થઈ છે. આરોપી અમદાવાદના નરોડા અને ન્યુ મણિનગર વિસ્તારના રહેવાસી છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેમણે આ એમ્બરગ્રીસનો જથ્થો સુરત ખાતે રહેતા બિપિન સોલંકી નામના એક શખસ પાસેથી મેળવ્યો હતો. આરોપી એમ્બરગ્રીસના વેચાણ માટે ગ્રાહકો શોધી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા.
આ પદાર્થને વ્હેલની ઉલટી કહેવામાં આવે છે પરંતુ આ સાચુ નથી. હકીકતમાં એમ્બરગ્રીસનો અર્થ ફ્રેન્ચમાં ‘ગ્રે અંબર’ થાય છે. તે મીણ જેવો એક પદાર્થ હોય છે જે સ્પર્મ વ્હેલના પાચનતંત્રમાં બને છે. સ્પર્મ વ્હેલ એક સંરક્ષિત પ્રજાતિ છે. આ પદાર્થ વ્હેલના પાચનતંત્રમાં બનતો હોવાથી તેને ઉલટી કહેવામાં આવે છે. આ વિશે હજુ પણ વિજ્ઞાન સંપૂર્ણ વિશ્વાસ સાથે નથી કહી શકતું કે એમ્બરગ્રીસ કેવી રીતે બને છે. એક સિદ્ધાંત કહે છે કે, વ્હેલ જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં સમુદ્રી જીવ ખાઈ લે છે અને તેનો આકાર મોટો હોય છે ત્યારે તેને પચાવવા માટે વ્હેલના આંતરડાઓમાં આ પદાર્થ બને છે.
