અમેરિકા-ઈરાન વચ્ચે હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે, જેના કારણે વિશ્વ માટે સૌથી મહત્ત્વનો અને એક સમયે વ્યસ્ત કહેવાતો હોર્મુઝ જળમાર્ગ બંઘ સ્થિતિમાં છે. આ માર્ગ પરથી પસાર થતો મોટાભાગનો સપ્લાય અટકી પડ્યો છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે કેટલાક અહેવાલોમાં આશંકા વ્યક્ત કરાઈ છે કે, ભારતમાં હાલ ચાલી રહેલી ચૂંટણી બાદ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થઈ શકે છે. જોકે સરકારે અધિકારીઓએ કહ્યું છે કે, સરકારની આવી કોઈ યોજના નથી.
પીટીઆઈ રિપોર્ટ મુજબ, એક સિનીયર અધિકારીએ ઈંધણની કિંમતોમાં વધારો થવાની અટકળોને રદીયો આપીને કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં 29 એપ્રિલે મતદાન પૂર્ણ થયા બાદ પેટ્રોલ-ડિઝલની કિંમતો વધારવાનો સરકારનો કોઈ પ્લાન નથી.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે છેલ્લા બે મહિનામાં કાચા તેલના ભાવમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે, જેના લીધે સરકારી તેલ કંપનીઓને રોજનું અંદાજે 2,400 કરોડ રૂપિયાનું મોટું નુકસાન થઈ રહ્યું છે. આ આર્થિક સંકટ વચ્ચે એવી અટકળો તેજ થઈ છે કે પાંચ રાજ્યો તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કરવામાં આવી શકે છે.
થોડા દિવસ પહેલા એક રિપોર્ટ સામે આવ્યા બાદ નિષ્ણાંતોએ સંભાવના વ્યક્ત કરી હતી કે, વિશ્વમાં ક્રૂડ ઓઈલની વધતી કિંમતો અને ઈન્ટરનેશનલ તેમજ ઘરેલુ ફ્યૂલની કિંમતમાં અંતર વધવાના કારણે પ્રતિ લિટર પેટ્રોલ-ડીઝલની કિંમત 25થી 28 રૂપિયા વધી શકે છે. જોકે સરકારી અધિકારીઓએ અફવા ગણાવી છે.
પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયમાં સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પણ પશ્ચિમ એશિયાના ઘટનાક્રમ મામલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર પાસે પેટ્રોલ-ડિઝલની કિંમતો વધરવાનો કોઈ પ્રસ્તાવ નથી. તેમણે તે પ્રશ્નનો જવાબ આપ્યો હતો કે, શું પશ્ચિમ બંગાળમાં બુધવારે મતદાન પૂર્ણ થયા બાદ રિટેલ ફ્યૂલની કિંમતો વધારવામાં આવશે? સુજાતા શર્માએ આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં કેટલાક સ્થળોએ પેનિક બાઈંગ શરૂ હોવાના અહેવાલો સામે આવ્યા બાદ આવી અટકળોને રદીયો આપ્યો છે.
સુજાતા શર્માએ કહ્યું કે, અમને કેટલાક પેટ્રોલ પંપો પર પૈનિક બાઈંગ જોવા મળ્યું છે અને અમે તે રાજ્ય સરકારો સાથે સતત સંપર્ક કરી રહ્યા છીએ. તમામ પેટ્રોલ પંપ પર નજર રાખી રહ્યા છીએ. પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ખતમ ન થાય તે માટે સપ્લાય પુરો પાડી રહ્યા છીએ. મીડિયા રિપોર્ટ મુજબ, આંધ્રપ્રદેશમાં ઈંધણની કિંમતો વધવાની અફવાઓના કારણે કેટલાક શહેરોમાં ગભરાઈને લોકોએ ખરીદી કરવાની શરૂ કરાવી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ કારણે પેટ્રોલ પંપો પર ઈંધણની અછત ઉભી થતા રવિવારે 400થી વધુ પેટ્રોલ પંપ ખાલી થઈ ગયા હતા. પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું છએ કે, કેટલાક પેટ્રોલ પંપો પર ઈંધણની માંગમાં 30થી 33 ટકાનો વધારો થયો છે. સુજાતા શર્માએ લોકોને આવી અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.
