સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે લગભગ ૨,૯૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી; અનિલ અંબાણીના નિવાસસ્થાને સીબીઆઇના દરોડા

Latest News અપરાધ કાયદો દેશ

શનિવારે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઇ) એ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે લગભગ 3 હજાર કરોડ રૂપિયાની નાણાકીય છેતરપિંડીના સંદર્ભમાં રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડના ડિરેક્ટર અનિલ અંબાણીના બે નિવાસસ્થાન અને મુંબઈ સ્થિત કંપનીની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આ નાણાકીય છેતરપિંડીના કેસમાં CBIએ અંબાણી અને રિલાયન્સ કંપની વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
ઉદ્યોગપતિ અનિલ અંબાણી રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ કંપનીના ચેરમેન છે. તેમના પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) સાથે ૨,૯૨૯ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. ગુરુવારે, રિલાયન્સ કોમ્યુનિકેશન કંપની અને કંપનીના ડિરેક્ટર અનિલ અંબાણી અને અન્ય લોકો વિરુદ્ધ કાવતરું, છેતરપિંડી અને વિશ્વાસ ભંગની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ ગુનામાં સરકારી અધિકારીઓ અને અન્ય કંપનીઓના કર્મચારીઓ પણ સામેલ છે. સીબીઆઇએ આ કેસની તપાસ માટે સ્પેશિયલ સેશન્સ કોર્ટ પાસેથી પરવાનગી માંગી હતી. સીબીઆઇએ શનિવારે કફ પરેડ સ્થિત અંબાણીના નિવાસસ્થાન અને મુંબઈ સ્થિત રિલાયન્સ કોમ્યુનિકેશન કંપનીની ઓફિસ પર દરોડા પાડ્યા હતા.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં રિલાયન્સ કંપની સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. એવો આરોપ છે કે અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ કંપનીએ બેંકમાંથી લીધેલી લોનનો ખોટી જગ્યાએ ઉપયોગ કર્યો હતો અને વિવિધ વ્યવહારો દ્વારા લોનની રકમ ગ્રુપ કંપનીઓમાં વાળી હતી. એવો પણ આરોપ છે કે કંપનીએ બોગસ દેવાદાર બનાવ્યા હતા. કંપની રિલાયન્સ ઇન્ફ્રાટેલ દ્વારા બિલમાં ડિસ્કાઉન્ટ, અનિલ અંબાણીના જૂથની કંપની નેટીઝન એન્જિનિયરિંગને આપવામાં આવેલી મૂડી રકમ માફ કરવા જેવી અનિયમિતતાના આરોપો છે. ઉલ્લેખનીય છે કે, SBI એ નવેમ્બર 2020 માં આ લોન એકાઉન્ટ અને પ્રમોટર અનિલ અંબાણીને બ્લેકલિસ્ટ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *