કોકરોચ જનતા પાર્ટી અંગે કોંગ્રેસ નેતા થરૂરનું મોટું નિવેદન

દેશના ડિજિટલ સ્પેસમાં રાતોરાત સનસનાટી મચાવનારી વ્યંગાત્મક મુવમેન્ટ ‘કોકરોચ જનતા પાર્ટી’ હવે માત્ર સોશિયલ મીડિયા મજાક નથી રહી, પરંતુ દેશના રાજકારણનું નવું હથિયાર બની ગઈ છે. આ પ્લેટફોર્મના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા દેશની બે સૌથી મોટી નેશનલ પાર્ટીઓ – ભાજપ અને કોંગ્રેસ કરતાં પણ વધારે થઈ ગઈ છે. 

આ સમગ્ર મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂરે એક ઈન્ટરવ્યૂમાં મોટું નિવેદન આપ્યું છે. થરૂરે કહ્યું છે કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલું આ આંદોલન યુવાનોની હતાશા બહાર કાઢવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. NEET પરીક્ષાના પેપરલીક બાદ લોકોની ધીરજ ખૂટી છે. જ્યારે પેપર લીક થયું, ત્યારે લાખો બાળકો જેઓ વર્ષોથી તૈયારી કરી રહ્યા હતા, તેઓ સંપૂર્ણપણે ભાંગી પડ્યા. આ અત્યંત ગંભીર બાબત છે. યુવાનો હવે સાફ કહી રહ્યા છે કે ‘હવે બહુ થયું!’ અને આવા સમયે તેમનું X હેન્ડલ બંધ કરવું એ સરકારની ઘાતક ભૂલ છે. 

શશી થરૂરે કહ્યું કે તમિલનાડુમાં સુપરસ્ટાર વિજયની નવી પાર્ટીની જીતને ‘Gen Z’ની જીત તરીકે જોવી એકદમ સાચી છે. તેમના મોટાભાગના મતદારો ૩૦ વર્ષથી ઓછી ઉંમરના છે. આ સાબિત કરે છે કે નવી પેઢી અત્યારે બેચેન છે, હતાશ છે અને નવા વિકલ્પો શોધી રહી છે.

થરૂરે સ્વીકાર્યું કે યુવાનો માત્ર સત્તાધારી પક્ષથી જ નહીં, પરંતુ કદાચ આખી રાજકીય સિસ્ટમથી નારાજ છે અને આમાં વિપક્ષનો પણ સમાવેશ થાય છે. પરંતુ, જો આ ગુસ્સો માત્ર સોશિયલ મીડિયા પૂરતો જ રહેશે, તો યુવાનોના જીવનમાં કોઈ વાસ્તવિક સુધારો નહીં થાય. તેમણે કહ્યું કે, વિપક્ષ સામે અત્યારે સૌથી મોટો પડકાર અને તક એ છે કે આ અસંતોષને મુખ્ય પ્રવાહના રાજકારણમાં, ચૂંટણીલક્ષી પરિવર્તનમાં અને મતપેટીમાં અલગ પરિણામો લાવવા માટે રૂપાંતરિત કરવામાં આવે. આપણે હવે એવો સંદેશ આપવો પડશે જે આ યુવાનોને આપણી તરફ આકર્ષે. CJP ની વેબસાઇટ પર જે મેનિફેસ્ટો છે, વિપક્ષ તે મુદ્દાઓને સપોર્ટ કરવા અને અમલમાં મૂકવા તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...