ધારાસભ્યો પાર્ટી છોડે તેવી અટકળો

રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદો ભાજપમાં જોડાતા આપને મોટો ફટકો પડયો છે અને પંજાબના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે ત્યાં નવીનવી વાતો કેટલાક ધારાસભ્યો પાર્ટી છોડે તેવી અટકળો શરુ થી ગઈ છે

આપ હજુ તો આ આંચકો સહન કરી શકે તે પહેલાં જ હવે પંજાબમાં આપના ૨૮ અને દિલ્હીમાં ૨૨ ધારાસભ્યો પક્ષ છોડીને ભાજપમાં જોડાય તેવી અટકળોએ જોર પકડયું છે. બીજીબાજુ આમ આદમી પાર્ટીએ સાત સાંસદોને અયોગ્ય જાહેર કરવા રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખ્યો છે. આ વિવાદ વચ્ચે આપ છોડનાર સ્વાતિ માલિવાલે કેજરીવાલના સંરક્ષણમાં આપમાં ભ્રષ્ટાચર વધ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે આ પહેલાં જ પંજાબ આપમાં ભારે રાજકીય ભૂકંપ સર્જાયો છે. રાજ્યસભામાં પંજાબના છ સાંસદોએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા છે. આવા સમયે આપ હરિયાણાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ નવીન જયહિંદે દાવો કર્યો છે કે આગામી દિવસોમાં પંજાબના અંદાજે ૨૮ ધારાસભ્યો પણ આપ છોડી શકે છે. તેમણે કહ્યું કે, પંજાબમાં પક્ષની અંદર ભારે અસંતોષ છે.

જયહિંદે કહ્યું કે, પંજાબ આપના જે સાંસદો પક્ષ છોડીને ગયા છે તેમાંથી અનેકની સાથે અગાઉ દુર્વ્યવહાર થયું હતું. કોઈની સાથે મારપીટ થઈ અને દબાણ બનાવાયું હતું. આ સમગ્ર ઘટનાક્રમ પાછળ પક્ષની અંદર ગંભીર ખેંચતાણ ચાલી રહી છે. પંજાબ આપમાં ભંગાણના અહેવાલો વચ્ચે પંજાબ પ્રભારી મનીષ સિસોદિયા ગુજરાતથી પાછા ફરવાની સાથે એરપોર્ટથી સીધા જ કેજરીવાલને મળવા પહોંચ્યા હતા. સિસોદીયા પંજાબના મંત્રી ડો. બલવીર સિંહને પણ દિલ્હીમાં મળ્યા હતા. બલવીર સિંહે દાવો કર્યો કે, ભાજપ પંજાબમાં ઓપરેશન લોટસ ચલાવી રહ્યો છે.

આપમાં પંજાબની સાથે દિલ્હીમાં પણ નવો પડકાર ઊભો થઈ ગયો છે. અત્યાર સુધી આપના મજબૂત ગઢ દિલ્હીમાં પણ ૨૨ ધારાસભ્યો પક્ષ છોડીને ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. ભાજપમાં જોડાયેલા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આ અંગે સંકેતો આપ્યા છે. પક્ષના આંતરિક સૂત્રો મુજબ હવે આપ માટે દિલ્હીમાં સંગઠનને જાળવી રાખવાનો પડકાર ઊભો થયો છે. આ સિવાય આપ માટે હવે પક્ષ છોડનારા સાત નેતાઓના સ્થાને કયા નેતાઓને જગ્યા આપવી તેની ઓળક કરવાની પ્રાથમિક્તા છે.

આપમાં આવેલા રાજકીય ભૂકંપ વચ્ચે વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય સિંહે શનિવારે રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખીને રાઘવ ચઢ્ઢા સહિત પક્ષ છોડનારા સાત સાંસદોને ગૃહમાં અયોગ્ય જાહેર કરવાની માગ કરી છે. તેમણેે કહ્યું, પક્ષપલટા કાયદો સ્પષ્ટ કહે છે કે રાજ્યસભા અને લોકસભામાં કોઈપણ પ્રકારનું વિભાજન અથવા જૂથબંધી ના થઈ શકે. તેને કોઈ કાયદાકીય માન્યતા મળતી નથી. પછી ભલે તે બે-તૃતિયાંશ કેમ ના હોય.

આપમાં આ હોબાળા વચ્ચે પક્ષ છોડનારાં સાંસદ સ્વાતિ માલીવાલ શનિવારે ભાજપમાં જોડાયાં હતાં. તેમણે કહ્યું અરવિંદ કેજરીવાલના સંરક્ષણમાં આપમાં અસાધારણ ભ્રષ્ટાચાર, મહિલાઓ પર અત્યાચાર, ગુંડા તત્વોને પ્રોત્સાહન વધ્યા છે. પંજાબની સાથે છેતરપિંડી થઈ રહી છે અને આ લૂટંફાટ જોતા તેમણે પક્ષ છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. જે સિદ્ધાંતો, મૂલ્યો અને પ્રમાણિક રાજકારણના સંકલ્પ સાથે અમે આપની સ્થાપના કરી હતી, તે પક્ષ અરવિંદ કેજરીવાલના ઈશારે આદર્શોથી ભટકી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...