ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં મુઝફ્ફરપુર-સાબરમતી જનસાધારણ એક્સપ્રેસ (Mujaffarpur-Sabarmati Janasadharan Express)ના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. રેલવેના અધિકારીઓએ કહ્યું કે, આજે (1 ઓગસ્ટ) સાંજે 4.20 કલાકે એક્સપ્રેસ ટ્રેનનો છ અને સાત નંબરનો કોચ પાટા પરથી ઉતરી ગયો છે. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
ઘટના બાદ કાનપુરના રેલવે અધિકારીઓ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અધિકારીઓએ સ્થળ પરનો તાગ મેળવ્યા બાદ તુરંત સમારકામ ચાલુ કરાવી દીધું છે. રેલવેની મેડિકલ વાનને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. રેલવે દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. પ્રયાગરાજ- 0532-2408128, 0532-2407353, 0532-2408149 ફતેહપુર- 9151833006, કાનપુર સેન્ટ્રલ- 0512-2323018, 0512-2323016, E25016, E25016 9151883732, ટુંડલા- 7392959712, અલીગઢ- 9112500973, 9112500988…
ટ્રેનના જે કોચ પાટા પરથી ઉતરી ગયા હતા, તે જનરલ હતા. બંને કોચ નમતાં જ પ્રવાસીઓએ કૂદવા લાગ્યા હતા. ત્યારબાદ તેમાંથી મહિલાઓ અને બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનાની તપાસ માટે સમિતિની રચના પણ કરાઈ છે. ટ્રેન બિહારના મુઝફ્ફરનગરથી અમદાવાદ જઈ રહી હતી. ઘટના બાદ પછીની તમામ ટ્રેનો અટકાવી દેવાઈ છે. આ ટ્રેન મુઝફ્ફરપુર જંક્શન (બિહાર) થી અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન વચ્ચે ચાલે છે. આ ટ્રેન બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોને જોડે છે, જે પૂર્વીય ભારતથી ગુજરાત આવતા શ્રમિકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
