રાજ્યસભામાં વિદેશ મંત્રાલય પાસેથી ભારતીય નાગરિકતા છોડનારા લોકોના આંકડા માંગવામાં આવ્યા હતા. જેના જવાબમાં વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે, ‘2024માં 2 લાખથી વધુ ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી છે. જોકે, આ આંકડો વર્ષ 2023ની સરખામણીમાં થોડો જ ઓછો છે. રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે રાજ્યસભામાં ભારતીય નાગરિકતા છોડવાને લઈને એક પ્રશ્નના જવાબમાં આ ડેટા રજૂ કર્યો હતો.
કેટલા લોકોએ છોડી નાગરિકતા?
રાજ્યસભામાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે ડેટા રજૂ કર્યો હતો. આ અંતર્ગત….
વર્ષ 2024માં – 2,06,378
વર્ષ 2023માં – 2,16,219
વર્ષ 2022માં – 2,25,620
વર્ષ 2021માં – 1,63,370
વર્ષ 2020માં – 85,256
વર્ષ 2019માં – 1,44,017માં લોકોએ ભારતીય નાગરિકતાનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે.
ડેટા દર્શાવે છે કે 2023ની સરખામણીમાં 2024માં થોડો ઘટાડો થયો છે, પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આ આંકડો 2 લાખથી ઉપર રહ્યો છે. જોકે, 2020માં, 2019ની સરખામણીમાં ગ્રાફ ઝડપથી ઘટીને માત્ર 85 હજાર થઈ ગયો. આ પછી 2021માં તે ફરીથી 1.5 લાખને વટાવી ગયો. આ પછી, આગામી બે વર્ષ માટે વધારો નોંધવામાં આવ્યો.
ભારતીય નાગરિકતા છોડવા માટે https://www.indiancitizenshiponline.nic.in પર અરજી કરવામાં આવે છે. આ પછી પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે, ત્યારબાદ દસ્તાવેજો સંબંધિત સરકારી વિભાગોને તે મોકલવામાં આવશે, જે 30 દિવસની અંદર સબમિટ કરવાના રહેશે. દસ્તાવેજોની ચકાસણી પછી, 30 દિવસ પછી Renunciation Certificate ઓનલાઈન ઉપલબ્ધ થાય છે. આ પ્રક્રિયામાં લગભગ 60 દિવસ લાગી શકે છે. તમારી ભારતીય નાગરિકતા છોડ્યા પછી, તમારે તમારી ભારતીય નાગરિકતા (મતદાર ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ)ના આધારે પ્રાપ્ત થયેલા તમામ દસ્તાવેજો પણ સંબંધિત અધિકારીઓને સબમિટ કરવા પડશે.

