સાયલાના લિંબાળા એજી ફીડરમાંથી તસ્કરો રૃ.સાત લાખનો ચાલુ વીજ વાયર ચોરી જતાં ખેડૂતો અને પીજીવીસીએલના અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોને ખેતીકામમાં હાલાકી વેટવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો હતો કે પોલીસે માત્ર સીસીટીવી ફૂટેજ તપાસી સંતોષ માની લીધો છે. કોઇ નક્કર કાગગીરી કરી નથી.
સાયલા તાલુકાના લિંબાળા ખેતીવાડી એજી ફીડરમાંથી છેલ્લા દસ દિવસથી અજાણ્યા તસ્કરો એકાતરે ચાલુ વીજ વાયરની ચોરી ફરાર થઇ જાય છે. વીજ વાયરની ચોરી થતા ૧૫૦ જેટલા ખેડૂતોને સીધી અસર થવા પામી છે. લિંબાળા એજી ફીડર નીચે આવતા થોરીયાળી, સુદામડા, નથુપુરા, જેવા અનેક નાના-મોટા ગામો આવે છે. અંદાજિત ૧૨ કિલોમીટર જેટલા અંતરોમાં ચાલુ વીજ વાયરોઓની ચોરી થતા ખેતરોમાં વસવાટ કરતા પરિવારો પ્રભાવિત થયા છે.
રાત્રિના સમયે ખેતરમાં જીવજંતુ અને પ્રાણીના હુમલાનો ભય રહે છે. એટલું જ નહીં વરસાદ ખેંચાતા પિયત માટે પાણી પુરી નહીં પાડી શકાતા વાવેતર બળી જાવનો ભય ઊભો થયો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર તસ્કરો અત્યાર સુધીમાં અંદાજિત ૭ લાખથી વધુનો વીજ વાયરોેની ચોરી કરી ગયા છે.
આ મામલે પીજીવીસીએલના ઈજનેર સહિત ખેડૂતો મોટી સંખ્યામાં સાયલા પોલીસ મથકે રજૂઆત માટે દોડી ગયા હતા. જ્યાં ખેડૂતોએ પોલીસ પર આક્ષેપ લગાવ્યો હતો કે ચાલુ વીજય વાયરની ચોરી અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઇ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. લાખાભાઇ અને રસીકભાઈ નામના ખેડૂતએ જાણવ્યું હતું કે પોલીસ મથકે રજૂઆત કર્યા બાદ પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા ચેક કરીને સંતોષ માની લીધો છે.

