લગભગ ૧૩,૦૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક છેતરપિંડી કેસમાં ફરાર મેહુલ ચોક્સીને ભારત લાવવાનો માર્ગ મોકળો થયો છે. બેલ્જિયમની એક કોર્ટે શુક્રવારે હીરાના વેપારી મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી. કોર્ટે એમ પણ ચુકાદો આપ્યો કે બેલ્જિયમના અધિકારીઓ દ્વારા તેની ધરપકડ માન્ય છે.
આ બાબતથી વાકેફ એક અધિકારીએ જણાવ્યું હતું કે ચોક્સીને ભારત લાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. અધિકારીએ જણાવ્યું હતું કે મેહુલ ચોક્સી પાસે હજુ પણ આ નિર્ણય સામે ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાનો વિકલ્પ છે. તેથી, તેને તાત્કાલિક લાવી શકાતો નથી, પરંતુ પહેલું અને ખૂબ જ મહત્વપૂર્ણ પગલું પૂર્ણ થઈ ગયું છે.
અગાઉ, બેલ્જિયમના એન્ટવર્પની એક અદાલતે શુક્રવારે ભારત અને ચોક્સી વતી બેલ્જિયમના વકીલોની દલીલો સાંભળી અને ચુકાદો આપ્યો કે તેની ધરપકડ અને ભારતની પ્રત્યાર્પણ વિનંતી સંપૂર્ણપણે માન્ય છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કરવામાં આવેલી પ્રત્યાર્પણ વિનંતીના આધારે 11 એપ્રિલના રોજ એન્ટવર્પ પોલીસે 65 વર્ષીય ચોક્સીની ધરપકડ કરી હતી અને તે ચાર મહિનાથી વધુ સમયથી જેલમાં છે. ચોક્સીએ બેલ્જિયમની વિવિધ અદાલતોમાં જામીન માટે અરજી પણ કરી હતી, પરંતુ તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી.
મેહુલ ચોક્સી સામે શું આરોપ છે?
(૧) મેહુલ ચોક્સી અને નીરવ મોદી પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં આરોપી છે.
(૨) મેહુલ ચોક્સી અને નીરવ મોદી પર ૧૩,૫૦૦ કરોડ રૂપિયાના નાણાકીય છેતરપિંડીનો આરોપ છે.
(3) નીરવ મોદી અને મેહુલ ચોક્સી પર બેંક અધિકારીઓ સાથે મળીને તેમની માલિકીની કંપનીઓ માટે એલઓયુ(લેટર્સ ઓફ અંડરટેકિંગ) અને ફોરેન લેટર્સ ઓફ ક્રેડિટ મેળવવાનો આરોપ છે.

