છેલ્લાં ઘણાં સમયથી ગુજરાતમાં આપઘાતના કેસમાં ચોંકવાનારી રીતે વધારો થઈ રહ્યો છે. એવામાં સુરતમાંથી ફરી એક આવા જ સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક માતાએ પોતાના બાળકને ઝેરી દવા પીવડાવી પોતે પણ એ જ ઝેરી દવા ગટગટાવીને જીવ ટૂંકાવી દીધો છે.
મળતી માહિતી મુજબ, સુરતના લસકણા વિસ્તારમાં એક સામુહિક આપઘાતનો કેસ સામે આવ્યો છે. 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી. થોડા સમય બાદ પરિવારને આ વિશે જાણ થતાં તેઓ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા અને માતા-પુત્રને બેભાન અવસ્થામાં જોઈ તાત્કાલિક તેમને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જોકે, ત્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું હતું. પરંતુ, માતા જીવિત હતી અને તબીબોએ તેને સિવિલ હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું.
આ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન માતાનું પણ મોત નિપજ્યું. જોકે, મહિલાએ આ પગલું કેમ લીધું તે વિશેનું કોઈ નક્કર કારણ સામે આવ્યું નથી. હાલ, આ મામલે લસકાણા પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. પોલીસ આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે, તેમજ ઘરેથી સ્યુસાઇડ નોટ મૂકવામાં આવી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.

