મિલકતદારને દસ્તાવેજની કિંમતમાં 30 થી 40 ટકા વધારો થતો હોવાથી વકીલો દ્વારા આ નિર્ણય રદ કરવા માટે મંગળવારે (23 ડિસેમ્બર) કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરવામાં આવી હતી.રાજય સરકારે પહેલા કાર્પેટ એરિયા, બિલ્ટઅપ એરિયા પછી હવે સુપર બિલ્ટઅપ એરિયા એટલે કે રોડ-રસ્તા, કોમન પ્લોટની જમીનો પર પણ સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાનો પરિપત્ર જાહેર કર્યો છે.
સુરત શહેર સહિત રાજયમાં જેટલી પણ મિલકતોનું વેચાણ થાય તેના ક્ષેત્રફળના આધારે જંત્રીના દરો નક્કી કરીને સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવતી હતી. સૌથી પહેલા કાર્પેટ એરિયા એટલે કે ફ્લેટ કે રૉ-હાઉસ બંગલાના માપ પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવતી હતી. ત્યારબાદ બિલ્ટઅપ એરિયા એટલે કે મિલકતમાં થયેલુ બાંધકામ પર સ્ટેમ્પ ડયુટી વસૂલવામાં આવતી હતી. હવે રાજય સરકારે સુપર બિલ્ટઅપ એરિયા કે જે સોસાયટી, ફલેટમાં રહો છો તે ફલેટના રોડ-રસ્તા કે કોમન પ્લોટનો પણ ઉપયોગ કરતા હોવાથી આ એરિયાને પણ ગણીને સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાનો પરિપત્ર જાહેર કર્યો છે.
આ પરિપત્રનો આજથી અમલ શરૂ થતા સુરત શહેરના વકીલોએ આજે અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે, આજથી સુરત શહેરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં આ પરિપત્રનો અમલ શરૂ થઇ ગયો છે. જેના કારણે સુપર બિલ્ટઅપ એરિયાનું પણ ક્ષેત્રફળ ગણીને સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાની શરૂઆત કરતા દસ્તાવેજની કિંમતમાં આશરે 30 થી 40 ટકાનો વધારો થાય છે. જે મિલકત ખરીદનારે આર્થિક નુકસાન સહન કરવુ પડે છે. આથી આ પરિપત્રની અમલવારી રદ કે મોકૂફ રાખવા માંગ કરી હતી. આ રજૂઆતને લઈને યોગ્ય સૂચના આપવાની ખાતરી આપવામાં આવી હતી.

